Friday 17 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Raj Goswami

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Raj Goswami'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

મન હોય તો માળવે જવાય પ્રેમમાં પડી પરફેક્શન પેદા કરવાની આવડત
મન હોય તો માળવે જવાય પ્રેમમાં પડી પરફેક્શન પેદા કરવાની આવડત

Raj Goswami
વર્તમાન મનુષ્યની ખોપડી ત્યારથી લઇને અત્યાર સુધીમાં ૨૦ પ્રતિશત નાની થઇ ગઇ
માણસનું મગજ સંકોચાઇ રહ્યું છે. ૨૦૧૪ની શરૂઆતમાં આવા ફેન્ટાસ્ટિક સમાચાર આનંદ આપે કે ચિંતા કરાવે? ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ ૧૮૬૮ના પેરિસની દોદોન ગુફામાંથી મળેલાં પાંચ હાડપીંજર વચ્ચેની એક વીસ હજાર જૂની ખોપડીનો અભ્યાસ કરીને જણાવ્યું છે કે વર્તમાન મનુષ્યની ખોપડી ત્યારથી લઇને અત્યાર સુધીમાં ૨૦ પ્રતિશત નાની થઇ ગઇ છે. મતલબત કે આપણામાં પરિવર્તન જારી છે. ૨૦૧૪નો પ્રારંભ આ સવાલથી કરવો જોઇએ: આપણે પશુમાંથી માણસ બની ગયા છીએ કે માણસ બનવા તરફ જઇ રહ્યા છીએ? આપણે પશુઓ જેવી વિશેષતાઓમાં નિયમિત સુધાર અને ઉન્નતિ જોઇએ છીએ? આપણે સંપૂર્ણ છીએ કે પછી પૂર્ણતા તરફની સફર જારી છે? આના જવાબો નથી. ધર્મ અને વિજ્ઞાન હજુ અનુમાન કે અંદાજ જ લગાવી રહ્યાં છે.

ઇંગ્લેન્ડના 'ધ વીક' સામયિકે ગયા મે મહિ‌નામાં એક લેખ પ્રગટ કરીને કહેલું, 'માણસ કોણ છે?' એ પ્રશ્નના ૨૯ ઉત્તર છે. હકીકતમાં સામયિકે જગતના બૌદ્ધિકોએ જે ઉત્તરો આપ્યા હતા એનું ૨૯ની યાદીમાં સંકલન કર્યું હતું. એ આ પ્રમાણે છે: માણસ એટલે ૧. ઇશ્વરનું પ્રતિરૂપ (બુક ઓફ જીનેસીસ ૨. ઇશ્વરની બરબાદી (રાલ્ફ વાલ્ડો ઇમર્સન) ૩. તમામ બાબતોનું મૂલ્યાંકન (પ્રોતાગોરસ) ૪. ઇન્દ્રીયો દ્વારા વ્યક્ત થતી બુદ્ધિમત્તા-ઇન્ટેલિજન્સ (ઇમર્સન) પ. તાર્કિક પ્રાણી (સેનેકા) ૬. પોલું લાકડું, નકામું, પરંતુ વિચારવંત લાકડું (પાસ્કલ) ૭. ઓજાર વાપરતું પ્રાણી (થોમસ ક્ર્લાઇલ) ૮. ઓજાર બતાવતું પ્રાણી (બેન્જામીન ફ્રેન્કલીન) ૯. હરતું-ફરતું કુશળ પ્લમ્બિંગ (ક્રિસ્ટોફર મોરલે) ૧૦. પ્રકૃતિની એકમાત્ર ભૂલ (ડબલ્યુ એસ. ગિલ્બર્ટ) ૧૧. શ્વાસ અને પરછાઇથી વિશેષ કંઇ નહીં. (સોફોક્ર્લસ) ૧૨. ધૂળનું સારતત્ત્વ (શેક્સપીયર) ૧૩ પાંખ વગરનું બાઇપેડ-બે પગવાળું પ્રાણી (પ્લેટો) ૧૪. નગ્ન બંદર (ડેસમન્ડ મોરીસ) ૧પ. મત-મતાંતરો બનાવતું પ્રાણી (જી. કે. ચેસ્ટરટન) ૧૬. પોલિટિકલ પ્રાણી (એરિસ્ટોટલ)

૧૭. શું કરવું જોઇએ અને શું ના કરવું જોઇએમાં ખોવાયેલું પ્રાણી (એમ્બ્રોસે બીયર્સ) ૧૮. પ્રતીકો બતાવતું, પ્રતીકોનો ઉપયોગ કરતું, દુરુપયોગ કરતું પ્રાણી (કેન્નેથ બુર્કે) ૧૯. હસતું અને રડતું એકમાત્ર પ્રાણી (વિલિયમ હેઝલીટ) ૨૦. મોતનો વિચાર કરતું એકમાત્ર પ્રાણી (વિલિયમ હોકલિંગ) ૨૧. પોતે જે છે તેનો અસ્વીકાર કરતું પ્રાણી (આલ્બર્ટ કામુ) ૨૨. દંભ કરીને પણ કંઇક શીખતું પ્રાણી (જીન કેર) ૨૩. કાયમ માટે અસંતોષી પ્રાણી (હેન્રી જ્ર્યોજ) ૨૪. પોતાની જ જાતનો નાશ કરતું એકમાત્ર પ્રાણી (થોમસ જેફરસન) ૨પ. હસતું હોય તેવું એકમાત્ર પ્રાણી (સેમ્યુઅલ બટલર) ૨૬. એકમાત્ર પ્રાણી જે એના શિકારને ખાઇ જતાં પહેલાં પ્રેમ કરે (સેમ્યુઅલ બટલર) ૨૭. એકમાત્ર પ્રાણી જેને શર્મ આવે અને જેને એવું કરવાના પ્રસંગોય મળી રહે (માર્ક ટ્વેઇન) ૨૮. બંદર બનાવીને પસ્તાયેલા ઇશ્વરે બનાવેલું કીટાણુ (માર્ક ટ્વેઇન) ૨૯. પૃથ્વી પરનું સૌથી ફૂવડ અને કૂત્સિત પ્રાણી (માર્ક ટ્વેઇન) આમાંથી માણસની ટોપ સેવન વિશેષતા આ પ્રમાણે:

સંવાદ: ભાષા માત્ર સંપર્ક કે અભિવ્યક્તિનું જ માધ્યમ નથી. ઘણાં પ્રાણીઓ અભિવ્યક્તિના આદિમ સ્વરૂપનો ઉપયોગ કરીને માણસ કરતાં પણ વધુ અસરકારક રીતે સંચાર-સંપર્ક સ્થાપી શકે છે. માણસ ભાષાનો ઉપયોગ કરીને માત્ર બીજી વ્યક્તિ સાથે જ નહીં, પોતાની સાથે પણ સંવાદ કરી શકે છે એ એની વિલક્ષણતા છે. કળા,સંગીત અને ધર્મની માનવીય સર્જનનાત્મકતા ભાષા દ્વારા ભાવુકતા પેદા કરવાની માણસની પ્રતિભામાંથી આવે છે જે એને બીજાં પ્રાણીઓથી અલગ કરીને ઉપર સ્થાપિત કરે છે.

હાસ્ય: માણસ શા માટે હસે છે તેનું રહસ્ય હજુ સુધી વિજ્ઞાન શોધી શક્યું નથી. સંશોધકો માને છે કે માનવીય સંબંધો ઘનિષ્ઠ બનાવવા હાસ્ય પેદા થયું છે. લોકો એકબીજા સાથે આરામ, મુક્તિ અને સહજતા મહેસૂસ કરે ત્યારે હાસ્ય જન્મે છે. હાસ્યથી આ આરામ, મુક્તિ અને સહજતા વધુ ઘનિષ્ઠ થાય છે. માણસની ટોળામાં રહેવાની હસરત એને હાસ્ય તરફ પ્રેરે છે. એટલા માટે જ હાસ્ય સાંસર્ગિ‌ક છે. સડક પર જતો સાવ અજાણ્યો માણસ પણ હસીને તમને પ્રતિહાસ્ય માટે મજબૂર કરી શકે છે. હાસ્ય અનુપમ માનવીય વૃત્તિ છે. તમે કોઇ કૂતરાને હસતો જોયો છે?

રુદન: છીંક ખાવાની વૃત્તિની જેમ તમામ પ્રાણીઓ સહજ અને સ્વયંભૂ રીતે આંસુ વહાવે છે પરંતુ, ભાવનાત્મક આંસુ વહાવવાની ક્ષમતા માત્ર માણસમાં જ છે. અમુક સંશોધકો માને છે કે હાથી અને ચિમ્પાન્ઝી લાગણીનાં આંસુ પાડી શકે છે પરંતુ એ પુરવાર કરવું મુશ્કેલ છે. માણસ શારીરિક દર્દ થાય કે માનસિક ઠેસ પહોંચે ત્યારે જ રડે એવું નથી. માણસ ખુશીમાંય રડી શકે છે અને અફાટ સૌંદર્ય જોઇને વિહ્વળતાથી પણ રડી શકે છે. સંશોધકો કહે છે માનવીય અહેસાસ અથવા ભાવના શરીરમાં ઊર્જા‍ પેદા કરે છે અને અધિક ઊર્જા‍ને મુક્ત કરવાના પ્રયાસમાં આંખમાંથી આંસુ પડે છે. માણસનું રુદન પ્રાણીઓથી બીજી રીતે પણ જુદું પડે છે. એ ડીફેન્સ મેકેનિઝમ છે. શારીરિક કે માનસિક દર્દમાં માણસને સહયોગ, સહકાર કે સેવાની જરૂર પડે ત્યારે આંસુ વહે છે. એ એક પ્રકારે મદદ માટેની ચીખ છે. એટલે જ 'મગરનાં આંસુ' કહેવત મુજબ માણસને ખબર છે કે મગર ખરેખર રડતો નથી પણ શિકારને ફસાવવા માટે આંસુ પાડતો હોય છે.

વિચાર: તમામ પ્રાણીઓને મગજ હોય છે. પ્રાણીઓના મગજ પણ ઇન્દ્રીયો દ્વારા અંદર આવતી માહિ‌તીઓના આધારે પોતાનો વ્યવહાર નક્કી કરે છે. સડક પર ટ્રક આવતી 'જોઇને' બિલાડી અડધેથી પાછી વળી જાય એ એના મગજની કમાલ છે પરંતુ એ બીજીવાર અને ત્રીજીવાર પણ ટ્રક આવતી હશે તો પણ સડક પર અડધે સુધી ધસી જ જશે. આવા વખતે સડકના સામા છેડે ઊભેલો માણસ અવાજો કરીને એને રોકવા પ્રયાસ કરશે એ માણસના મનની કમાલ છે. માણસ પાસે મગજ ઉપરાંત મન પણ છે. મન વિચારોને સમજવામાં અને એમાંથી તર્ક પેદા કરવામાં મદદ કરે છે.મગજ અને મનનો ફરક એટલો જ છે જેટલો ફરક બુદ્ધિ અને વિવેકબુદ્ધિમાં છે. પ્રત્યેક પ્રાણીઓમાં બુદ્ધિક્ષમતા હોય છે. માણસ એમાં કારણ, આશય કે પ્રયોજન જોઇ-સમજી શકે છે અને એ પ્રમાણે ભવિષ્યની યોજના બનાવી શકે છે. પ્લાનિંગ અથવા આયોજન માણસની વિવેકબુદ્ધિની કમાલ છે.

મનોવિકાર: મેન્ટલ ડિસઓર્ડર અથવા માનસિક વિકાર અનોખી અને અજીબ માનવીય સ્થિતિ છે. ચિંતાથી લઇને વ્યાકુળતા અને બેચેનીથી લઇને પીડા સુધીની ઘણી બધી બાબતો માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે. વ્યાખ્યા પ્રમાણે માનસિક બીમારી એટલે એવી માનસિક સ્થિતિ જેનાથી માણસની વિચાર કરવાની, મહેસૂસ કરવાની અને વ્યવહાર-વર્તન કરવાની પ્રક્રિયામાં પરિવર્તન આવી જાય. રામાયણ અને મહાભારતમાં ઉદ્વિગ્ન (એન્કસીયસ) અને ઉદાસીન (ડિપ્રેસિવ) ચરિત્રોનું વર્ણન છે. ચરક સંહિ‌તા (ઇશુ પૂર્વે ૬૦૦મી સદી)માં કહેવાયું છે કે ત્રિદોષામાં અસંતુલન આવે ત્યારે માનસિક બીમારી આવે.માણસની માનસિક બીમારી અનુઠી એટલા માટે છે કે એનો સંબંધ સર્જનાત્મકતા સાથે છે. ૨૪૦૦ વર્ષ અગાઉ ગ્રીક ચિંતક એરિસ્ટોટલે કહ્યું હતું કે થોડુંક ગાંડપણ ન હોય એવી જીનિયસ વ્યક્તિ મળવી અસંભવ છે. આધુનિક સંશોધન કહે છે કે અસાધારણ પ્રતિભાના માલિક કવિઓ, લેખકો, ચિંતકો, કલાકારો કે વૈજ્ઞાનિકોમાં સ્ક્રીન્ઝોફેનિયા, બાયપોલર ડિસઓર્ડર અને યુનિપોલર ડિપ્રેશન જોવા મળે છે. જર્મન ચિંતક ફ્રેડરીઅ નિત્શેએ કહેલું, 'જીવવું એટલે કષ્ટ ભોગવવું, પણ જીવતા રહેવું (સર્વવાઇવ) એટલે કષ્ટમાં અર્થ શોધવો.' પીડા તમામ પ્રાણીઓને થાય છે પણ એને સાર્થક બનાવવાની વૃત્તિ માત્ર માણસમાં જ છે.

પ્રણય: આદર્શીકરણ અથવા આઇડલાઇઝશેન એ પ્રેમમાં પડવાની પ્રથમ શરત છે. પ્રાણીઓ પણ એકબીજાને પ્રેમ કરતાં હોય છે પરંતુ આદર્શીકરણ માત્ર માણસોમાં જ થાય છે. આદર્શીકરણ એટલે કોઇ એક વ્યક્તિ, વસ્તુ કે વિચારની હકારાત્મક બાબતો પર વધારે ધ્યાન આપવું અને નકારાત્મક પાસાની ઉપેક્ષા કરવી. આ સ્થિતિમાં તમે તમારી જરૂરિયાત કે ઇચ્છાઓ એ વ્યક્તિ કે વસ્તુ કે વિચાર પર લાદો ત્યારે આસક્તિ શરૂ થાય. આનું ક્લાસિક ઉદાહરણ એ છે કે આસક્તિ કે પ્રેમનું નિશાન બનેલી વ્યક્તિની નકારાત્મક બાબતો પણ હકારાત્મક નજર આવતી હોય છે. માણસમાં પરફેક્શન અથવા પૂર્ણતાની અભીપ્સા એટલી તીવ્ર છે કે એ કોઇ વસ્તુ, જગ્યા, દેશ, વ્યક્તિ કે ઇશ્વરના પ્રેમમાં પડીને 'પરફેક્શન' પેદા કરી લે છે. પ્રાણીઓ પ્રેમ કરે છે પરંતુ 'પરફેક્શન'ની આ આવડત માત્ર માણસોમાં જ છે.

શ્રદ્ધા: ચિંતક અને ધર્મશાસ્ત્રી સેન્ટ ઓગસ્ટીને કહેલું કે જે અપરિભાષિત છે તેની સાથે જોડાવાની માણસમાં ગજબની વૃત્તિ છે. આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે અલૌકિક પરિબળમાં શ્રદ્ધા એ એક શક્તિશાળી સાઇકોલોજી ફોર્સ છે. માણસની ઉત્ક્રાંતિ (અથવા તો ટકી રહેવાની, અમર રહેવાની)ની વૃત્તિમાંથી ઇશ્વરીય શ્રદ્ધા પેદા થઇ છે. પોતાના કરતાંય શક્તિમાન પરિબળનું અસ્તિત્વ હોય એવી માન્યતા માત્ર માણસમાં જ છે. ઓક્સફર્ડ યુનિવર્સિ‌ટીના સર્વેક્ષણ મુજબ જગતની ૮૪ પ્રતિશત વસ્તી એક યા બીજા સંગઠિત ધર્મને અનુસરે છે.ડાર્વિ‌ને કહેલું કે માણસની તર્કશક્તિ અને સાથે રહેવાની ભાવનામાંથી અલૌકિક પરિબળમાં એની શ્રદ્ધા પેદા થઇ છે.

પ૦૦૦ વર્ષ પહેલાં આદિવાસી માણસોનાં ટોળાએ સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારે બધા માટે સર્વ સામાન્ય નૈતિક અને ન્યાયસંગત આચારસંહિ‌તા માટે ઇશ્વરની કલ્પના ઉદ્ભવેલી. સંશોધકો કહે છે કે ઇશ્વરમાં શ્રદ્ધા એ માત્ર સામાજિક કે સાંસ્કૃતિક વૃત્તિ નથી, એના જીનેટિક મૂળિયાં પણ છે. પ્રાણીઓ માણસમાં માનતા નથી. આપણે ઇશ્વરમાં માનીએ છીએ.માણસ હોવું એટલે શું? જર્મન વિચારક એરિક ફ્રોમે કહ્યું હતું તેમ, 'માણસ એકમાત્ર એવું પ્રાણી છે જેના માટે એનું અસ્તિત્વ એક પ્રોબ્લેમ છે અને એનું સોલ્યુશન પણ એણે જ શોધવાનું છે.'
હેપ્પી ન્યૂ યર'

આદર્શીકરણ એ પ્રેમમાં પડવાની પ્રથમ શરત છે. આદર્શીકરણ માત્ર માણસોમાં જ થાય છે. આદર્શીકરણ એટલે કોઇ એક વ્યક્તિ, વસ્તુ કે વિચારની હકારાત્મક બાબતો પર વધારે ધ્યાન આપવું અને નકારાત્મક પાસાની ઉપેક્ષા કરવી.

રાજ ગોસ્વામી

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-raj-goswami/

No comments:

Post a Comment