Thursday 23 January 2014

[Vijay Kudal] [VijayKudal] SUnday Morning (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] SUnday Morning (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

સન્ડે મોર્નિંગ – સૌરભ શાહ
નારદના ભક્તિસૂત્રમાં નિરર્થક વાદવિવાદથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે
 
માણસ જે કામમાંથી આજીવિકા મેળવે છે તે એનો ભગવાન છે. એના માટે જે રસનો વિષય છે તે એનો ભગવાન છે. એ જે બાબતો માટે આવેશ અનુભવે છે એ બાબતો એના માટે ભગવાન છે. જે સ્ત્રી પોતાના ઘરને મંદિર માનીને બહાર નોકરી-વ્યવસાય માટે જતી નથી તેના માટે ગૃહકાર્ય, રસોઈ અને પોતાની શારીરિક-માનસિક જાળવણી ભગવાન ગણાય. આજીવિકાના કામમાં, રસના વિષયમાં કે જે જવાબદારી સ્વીકારી છે તે કાર્યમાં કે જેના માટે હૃદયથી આવેશ અનુભવતા હોઈએ તે બાબતોમાં સંપૂર્ણપણે લીન થઈ જવું, એમાં એકાકાર બની જવું એનું જ નામ ભક્તિ. આધુનિક સમયમાં બાબાસાધુઓનાં ચરણ પખાળમાં કે ભગવાનને અન્નકુટ ધરવો એ ભક્તિનું સ્વરૂપ નથી. ભગવાનની ભક્તિમાં એકાકાર થઈ જવું એટલે પોતાની મનગમતી પ્રવૃત્તિમાં કે જે કરવાની તમારી ફરજ હોય તે પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ જવું. નારદનાં ભક્તિસૂત્રોના આધુનિક અર્થઘટન વિશે વાત કરતી વખતે ત્રેસઠમા સૂત્રને જિદ્દુ કૃષ્ણમૂતિના વિચારો સાથે સરખાવી જોવા જેવું છે. બ્રહ્મર્ષિ નારદ ભક્તિસૂત્ર નં. ૬૩માં કહે છે: 'ભક્તજને સ્ત્રી, ધન, નાસ્તિક અને શત્રુઓ વિશે વાર્તાલાપ કરવો નહીં અને તે વિશે કંઈ સાંભળવું નહીં.'

નિંદા-કૂથલી અને માત્ર સમય વેડફવા માટે થતી આ ચાર વિષયોની ચર્ચાના અતિરેકના ત્યાગની અહીં વાત છે. જે. કૃષ્ણમૂર્તિને કોઈએ એક વખત પૂછ્યું: 'મહેરબાની કરીને મને જણાવો કે મારે આ દુનિયામાં કેવી રીતે જીવવું. હું આ દુનિયાનો ભાગ થવા નથી માગતો છતાં મારે તેમાં જ રહેવાનું છે. મારે રહેવા માટે ઘર જોઈએ અને ઘર ચલાવવા માટે આજીવિકા પણ જોઈએ. આટલાં બધાં ઢોંગ, લોભ, હિંસા, સ્પર્ધા અને ક્રૂરતાથી ઘેરાઈને મારે જીવવું કેવી રીતે?'

કૃષ્ણમૂર્તિએ આ પ્રશ્ર્નનો જવાબ ખૂબ લંબાણથી આપ્યો હતો જેના ટૂંકમાં મુદ્દા આ હતા: પહેલી વાત તો એ કે આને કોયડો ન બનાવીએ. જ્યારે કોઈ પ્રશ્ર્ન કોયડો બની જાય છે ત્યારે આપણે એના ઉકેલમાં સપડાઈ જઈએ છીએ અને પછી એ પ્રશ્ર્ન પાંજરું બની જાય છે, તમે એમાં પુરાઈ જાઓ છો, પ્રશ્ર્ન વિશેના આગળના સંશોધન અને સમજણ માટે આ પરિસ્થિતિ અવરોધરૂપ બની જાય છે. જે સમાજમાં આપણે જીવીએ છીએ તેના પર પ્રભુત્વ મેળવવા માટે અથવા તે સમાજનો વિકલ્પ ખોળવા માટે અથવા એ સમાજમાં રહેવા છતાં તેમાંથી છટકવાનો પ્રયત્ન કરવા માટે જો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હોય તો તે અનિવાર્યપણે આપણને વિરોધાભાસી અને દંભી જીવન તરફ લઈ જશે. 

બીજી વાત કૃષ્ણમૂર્તિએ એ કહી કે આ દુનિયામાં રહેવા માટે આપણે આ દુનિયાને તાબે થવાની ના પાડી દેવી જોઈએ. આનો અર્થ એ કે આપણે આદર્શ પરિસ્થિતિઓને, યુદ્ધને, વિભાગીકરણને, ઈર્ષાને ના પાડવી જોઈએ. કોઈ પુત્ર પોતાનાં માબાપ સામે બંડ કરે એ રીતે દુનિયાને ના પાડવી એવો અર્થ આપણે નથી કરતા. આપણે આ બધાની હાનિ સમજીએ છીએ માટે ના પાડીએ છીએ. આ નકાર સમજણમાંથી આવતો નકાર છે.

ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત કૃષ્ણમૂર્તિએ એ કરી કે તમે જ દુનિયા છો અને આ દુનિયા માટે તમે જ જવાબદારી છો. એક વાત સ્પષ્ટ છે કે આપણા પોતાનાં માનવીય લોભ, ઈર્ષ્યા, આક્રમણ અને હિંસાએ આ દુનિયાનું અત્યારે છે એવું વાતાવરણ રચી આપ્યું છે. આપણે પોતે કેવા છીએ તેની સાબિતી ખુદ આ દુનિયા છે. 

આનો મતલબ એ કે દુનિયા જો સ્વાર્થી લાગતી હોય તો આપણે આપણા પોતાનામાં રહેલા સ્વાર્થને દૂર કરવો. દુનિયા જો પ્રેમવિહીન લાગતી હોય તો આપણે પોતે વધુ પ્રેમાળ થવું, દુનિયા જો શુષ્ક લાગતી હોય તો આપણે પોતે રસભર્યા થવું. આ રીતે જીવવાથી આપોઆપ તમારી દુનિયા નિ:સ્વાર્થ, પ્રેમાળ અને રસાળ બની જશે. અલ્ટિમેટલી તો તમે જેવા છો એવી જ દુનિયા તમને દેખાવાની છે. તમારા પોતાના વિચારો, તમારી ભાવનાઓ અને તમારી લાગણીઓનું પ્રતિબિંબ એટલે જ તમારી આસપાસની આ દુનિયા. 

જે. કૃષ્ણમૂર્તિની આ ત્રણ વાતોનો સરવાળો માંડીને ફરી નારદના ત્રેસઠમા ભક્તિસૂત્ર તરફ પાછા વળીએ. શું કહ્યું હતું એ સૂત્રમાં: ભક્તજને સ્ત્રી, ધન, નાસ્તિક અને શત્રુઓ વિશે વાર્તાલાપ કરવો નહીં અને તે વિશે કંઈ સાંભળવું પણ નહીં.

બ્રહ્મર્ષિ નારદ અને જે. કૃષ્ણમૂર્તિની વાતોનો તાળો હવે મળી શકે છે. દુનિયાની અણગમતી અસરોથી દૂર રહેવા માટે મનમાં ઉદ્ભવતા એ પ્રકારના વિચારો છોડવા પડે અને એ વિચારોનો ત્યાગ ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી વ્યક્તિ પોતે અણગમતી અસરો લઈને આવતી અન્ય વ્યક્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ ન કરે. કોઈ પણ વ્યક્તિએ ખૂબ ચીવટ રાખવી જોઈએ કે પોતે કોને કોને મળવા માગે છે, કોની સાથે નિયમિત ઊઠબેસ રાખવા માગે છે, કોની સાથે માત્ર લટકતી સલામનો વ્યવહાર રાખવા માગે છે અને કોનું એ મોઢું સુધ્ધાં જોવા માગતો નથી. સંતસમાગમથી જેમ લાભ થાય છે તેમ અ-સંત હોય એવી વ્યક્તિઓના સંગથી વ્યક્તિનું દિમાગ બીજે ફંટાઈ જાય છે, પોતાના ધ્યેયમાંથી એ ચલિત થઈ જાય છે. 

નારદના આ સૂત્રને એના શબ્દાર્થમાં લેવાને બદલે એનો ગૂઢાર્થ સમજવો. સ્ત્રી, ધન, નાસ્તિક અને શત્રુઓ વિશે ક્યારેય વાર્તાલાપ ન કરવો કે એમના વિશે સાંભળવું નહીં. એનો અર્થ એ કે કૉલેજમાં કોઈ છોકરી ગમતી હોય કે સંસારમાં પડ્યા પછી કોઈ સ્ત્રી માટે કૂણી લાગણીઓ થતી હોય તો કલાકો સુધી એ વિશે કોઈની સાથે વાતો કરતા રહેવાનો કે મનોમન કલ્પનાના ઘોડા દોડાવીને સમય બરબાદ કરવાનો કોઈ અર્થ નથી. સ્ત્રીસંગ ખરાબ છે એવી કેટલાક જુનવાણી વિચારસરણી ધરાવતા સંપ્રદાયોમાં કરવામાં આવતા ઉપદેશો જેવી આ વાત નથી. પણ આ પ્રકારના વાર્તાલાપ કે વિચારો માણસને પોતાના કામમાં તલ્લીન થતાં અટકાવે છે માટે એ તરફ ન જવું. ધન વિશે શેખચલ્લીના વિચારો કરવા કે શત્રુઓની નિંદાકૂથલી કરવી કે બદલાની ભાવના રાખીને એને પછાડી દેવાના હવાઈ કિલ્લાઓ રચવા કે પછી એની ઈર્ષ્યા કરવી-આમાંનું કશું જ કાર્ય પ્રત્યેની તમારી ભક્તિને, તમારી અકાગ્રતાને પોષનારું નથી. નારદસૂત્રમાં નાસ્તિક વિશે પણ વાર્તાલાપ નહીં કરવાની સૂચના છે. અહીં માની લેવામાં આવે છે કે ભક્તિસૂત્રોને માન આપનાર આસ્તિક છે, ભગવાનમાં એને શ્રદ્ધા છે અને એ ભગવાન કયા તે લેખના આરંભે આપણે જોયું. જેમને એ ભગવાનમાં શ્રદ્ધા જ નથી એવી વ્યક્તિઓ વિશે વાદવિવાદ કરીને આપણો સમય બરબાદ કરવાની કોઈ જરૂર નથી. ભક્તિસૂત્રમાં અન્ય એક ઠેકાણે ભક્તને નિરર્થક વાદવિવાદથી દૂર રહેવાની સૂચના અપવામાં આવી છે. પાંડિત્યભર્યા અને સારા ઈરાદાથી થતા વિચારમંથન દ્વારા જરૂર નવનીત નીપજી શકે. 

પરંતુ પોતાના અહમ્ને સંતોષવા માટે અને બીજાઓનો તેજોવધ કરવાના ઈરાદાથી થતો વાદવિવાદ આરંભાય તે પહેલાં જ એમાંથી સરકી જવું. તમારા વિચારવિરોધીઓના મતને પલટાવી નાખવાની જવાબદારી તમારી નથી. આવા વિરોધીઓ તમને વિવાદમાં સંડોવવાનો અને ગટરચર્ચામાં ખેંચવાનો ખૂબ પ્રયાસ કરશે, પણ તમારે એમનાથી દૂર રહેવું.

મન પર વિપરીત અસરો નિપજાવતી ઘટનાઓ, વ્યક્તિઓ અને વાતોથી આપણે દૂર રહીએ છીએ ત્યારે આપણી આસપાસ એટલી ઓછી હિંસક, ઓછી લોભી, ઓછી ઢોંગી, ઓછી સ્પર્ધાત્મક અને ઓછી ક્રૂર દુનિયા સર્જાય છે. ઓછી એટલા માટે કહી કે આ અસરોને પૂર્ણપણે નાબૂદ કરવી શક્ય નથી. બધા જ પ્રયત્નો પછી એ દરેક વિપરીત અસરની ઝીણી કરચો તો ક્યાંક ક્યાંક આસપાસના વાતાવરણમાં, તમારા પોતાનામાં, જોવા મળવાની જ. પણ એટલું નક્કી કે એવી દુનિયા, એવું વાતાવરણ સર્જાયા પછી એમાં રહેવાની મઝા અત્યારે જે પરિસ્થિતિ છે તેના કરતાં કંઈક અધિક આવવાની.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-sunday-morning-gujarati/

No comments:

Post a Comment